21/07/2024
#અન્વેષણ #
.Paresh.K.Bhatt #
:: અ-ધાર્મિક દેશ પ્રામાણિક અને ધાર્મિક દેશ ચોર ? ::
હમણાં સોસીયલ મીડિયામાં એક સમાચાર ફરે છે. તેમાં એક સર્વે રજૂ કરેલ છે જે નીચે આપેલ છે. આ સર્વે સાચો છે કે ખોટો તે મને ખબર નથી , પ્રામાણિક સર્વે થયો છે કે નહિ એ પણ મને ખબર નથી અને એ જાણવું પણ નથી. પરંતુ આવા સર્વે રજૂ કરીને ભારતની સામાન્ય પ્રજાને ભ્રમિત કરાવની અને તેમના ઈશ્વર પ્રત્યેના શ્રદ્ધા કેન્દ્રને તોડવાની જે વામપંથી ચાલ છે તેની સામે વાંધો છે. કહેવાતા સાહિત્યકારો પણ આવું વાંચીને હા માં હા કરે રાખે છે અને મૂંડી ધુણાવે રાખે છે. તેમની બૌદ્ધિકતા લલિત નિબંધો અને પ્રકૃતિ વર્ણનોમાં જ અટવાઈ જાય છે. અલબત્ત એ ખોટું નથી પણ એજ સર્વસ્વ નથી. આવા સર્વે દ્વારા આપણા જનમાનસમાં એવું ઠસાવવા માં આવે છે કે તમે પ્રામાણિકતાના તળિયે છો તેનું કારણ તમે ધર્મમાં શ્રદ્ધા રાખો છો. આમ આપણી ધર્મશ્રદ્ધાને તોડવાનું કામ કરે છે. ત્યારે ધાર્મિક પુરુષોના ધાર્મિક સ્થાનોમાં બેસનાર સાહિત્યકારો મોટી મોટી વાતો કરી જાણે છે પરંતુ આવા વામપંથીઓને જવાબ દેવાનો હોય છે ત્યારે હવા નીકળી જાય છે.
આવા એક પ્રામાણિકતા અંગેના સર્વેમાં જેમાં દુનિયાના ટોપ ટેન દેશોમાં ભારતનું સ્થાન નથી. સ્થાન છેક 95માં નંબરે છે.
*દુનિયાના કુલ 191 દેશોમાં પ્રમાણિક
પ્રથમ 10 દેશ:*
▪ ન્યુઝીલેન્ડ
▪ ડેનમાર્ક
▪ ફિનલેન્ડ
▪ સ્વીડન
▪ સિંગાપોર
▪ નોર્વે
▪ નેધરલેન્ડ
▪ સ્વિત્ઝર્લેન્ડ
▪ ઓસ્ટ્રેલિયા
▪ કેનેડા
*ભારત 95 મા નંબરે છે.*
આ પછી એવું લખેલું છે કે આ પ્રથમ દસ દેશોમાં, નથી સત્યનારાયણની કથા થતી કે નથી રામ કથા થતી કે નથી વ્રત થતા કે નથી પૂજા પાઠ થતા, તેઓ તિલક નથી કરતા, તેઓ રોજ ગીતાનો પાઠ નથી કરતા, તેઓ માળા નથી ફેરવતા, તેઓ દિવા અગરબત્તી નથી કરતા વગેરે વગેરે ઘણું ઘણું લખ્યું હતું. જેનો સાર એવો હતો કે આપણા દેશમાં ધર્મ આધારિત વાતો ઘણી છે એ છતાં આપણે ત્યાં પ્રમાણિકતાનું ધોરણ આટલું નીચું કેમ ? આપણે વાંચીએ એટલે આપણે પણ વિચારીએ કે વાત તો સાચી છે. ધાર્મિક માણસ પ્રામાણિક હોવો જ જોઈએ એ અપેક્ષિત છે. પરંતુ આવી વાતો ભારતના પરિપેક્ષયમાં જ કેમ જોવાય છે ?
આજ વાતોને જરા બુદ્ધિથી વિચારીએ. સિક્કાની એક બાજુ આપણે જોઈ કે ધર્મના મૂળ ઊંડા છે છતાં અપ્રમાણિકતા કેમ ? હવે બીજી બાજુ જુવો.
ઉપરના ટોપ ટેનમાં અમેરિકા પણ નથી, બ્રિટન પણ નથી, ઇટલી, જર્મની, જાપાન પણ નથી અને યુ.એ.ઇ પણ નથી. પરંતુ આપણને તો કોઈ દેખાડે એટલું જ જોવાનું અને તે પણ આપણા ચશ્માથી નહિ બીજા જે પહેરાવે એ ચશ્માથી જ જોવાનું!
આ પરિપેક્ષયમાં વિચારીએ તો સોક્રેટિસ પાસે આવો કોઈ પ્રશ્ન લઈને જો કોઈ જાય તો સોક્રેટિસ કેવી ઉલટ તપાસ કરે ?
તો પ્રામાણિક દેશોમાં લોકો ધાર્મિક નથી એટલે પ્રામાણિક છે ? તો એવા તો ઘણા દેશોમાં લોકો ધાર્મિક નથી તો બધા અધાર્મિક દેશો તો ટોપ ટેનમાં નથી ? તો બીજી તરફ ઇસ્લામિક દેશો ખાસ કરીને યુનાઇટેડ આરબ અમીરાતના દેશો, ત્યાં અત્યન્ત ધાર્મિકતા છે આમ છતાં ત્યાં પ્રામાણિકતા છે અને ત્યાં ટોપ ટેન જેવા દેશોની અશ્લીલતા નથી, ખૂન ખરાબ નથી જે આ ટોપ ટેન દેશોમાં છે. કેનેડા તો વળી ટેરેરિસ્ટોનો અડ્ડો છે પણ એ વાંધો નહીં. ત્યાં બધાનું મૌન.
આથી એ તો સાબિત થાય જ છે કે ધાર્મિકતા અને પ્રમાણિકતાને કોઈ કો-રિલેશન નથી. એટલે કે સહ સંબંધ નથી. આવું તર્કથી સાબિત થઈ શકે. પંરતુ આપણો હિન્દૂ ધર્મ તો જીવનના દરેક પાસાઓ આવરી લે છે. તેમાં પણ ચરિત્ર ઉપર તો ખાસ ભાર મૂકે છે. ચરિત્ર એટલે ફક્ત શારીરિક સંબંધ જ નહીં પરંતુ વ્યક્તિનો શુદ્ધ વ્યવહાર પણ એક ભાગ જ છે.
પરંતુ જ્યારે કોઈ આપણી સામે ફક્ત તર્કથી દલીલ કરવાની વાત કરે ત્યારે તેનો જવાબ ફક્ત તર્કથી જ આપવાનો હોય. શાસ્ત્ર સિદ્ધાંતોના પ્રમાણો તેમને ન આપવાના હોય કે અન્ય પાસાઓને ધ્યાનમાં ન લેવાના હોય. આથી કોઈપણ દેશ પ્રમાણિક છે તેની પાછળનું કારણ ધર્મ તત્વની હાજરી કે ગેરહાજરી તેને અસર કરતી નથી. તો પછી શું અસર કરે છે ? હવે વાત મુદ્દાની છે. યુનાઇટેડ આરબ અમીરાતમાં કાયદાઓ એવા છે કે જો વ્યક્તિ ચોરી કરે તો તેના હાથ કાપી નાખવાની સજા છે. આથી ત્યાં કોઈ ચોરી નથી કરતું. તેથી તેનો મતલબ એવો નથી કે ચોરી થતી નથી અને બધા જ લોકો પ્રામાણિક જ છે.
અકબર બીરબલની એક વાર્તા છે. તે સમયે ઈલેક્ટ્રિસિટી ન હતી એટલે બધું જ દીવાઓ અને ફાનસથી ચાલતું. અકબરે એક દિવસ બીરબલને જમવા બોલાવ્યો અને બંને જણા બેઠા એટલે અકબરે તાળી પાડી. થોડી વારમાં ચાર બિલાડીઓ હાજર થઈ અને તેમના માથા પર ચાર કોડીયાઓ મૂક્યા અને બંને જણા એ દીવાઓના પ્રકાશમાં ઠાઠ માઠથી જમ્યા. બીજે દિવસે અકબરને બિરબલે કીધું કે કાલનો તમારો ભવ્ય ઠાઠ માઠ જોઈને મને આજે પણ તમારી સાથે જમવાની ઈચ્છા છે. અકબર કહે જરૂરથી પધારો. રાત્રે બીરબલ અકબરને ત્યાં જાય છે અને સાથે ચાર ઉંદરને લઈ જાય છે. જેવા જમવા બેસે છે , અકબર તાળી પાડે છે, ચાર બિલાડી હાજર થાય છે. તેના માથે કોડિયા મૂકવામાં આવે છે. જમવાનું પીરસાઇ છે અને એ જ સમયે બીરબલ તેની સાથે લાવેલા ચાર ઉંદરને છોડે છે ઉંદરને જોતા જ ચારેય બિલાડીઓ આમથી તેમ દોડાદોડી કરી મૂકે છે અને દીવાઓ ઓલવાઈ જાય છે. વાર્તા અહીંયા જ છોડી દઈએ.
આજ રીતે યુનાઇટેડ આરબ અમીરાતમાં જો કાયદો પાછો ખેંચી લેવામાં આવે કે કોઈપણ વ્યક્તિ ચોરી કરે તો તેના હાથ કાપવામાં નહિ આવે. તેના બદલે સામાન્ય એકાદ બે મહિનાની સજા થશે કે સજા નહીં થાય. આવો કોઈ પણ નવો કાયદો આવે અને પછી ચોરી ન થાય તો પ્રજા પ્રામાણિક છે તેમ કહેવાય. અન્યથા તો એમ જ કહેવાય કે કાયદો કડક છે પ્રજા પ્રામાણિક જ છે તેમ નહીં. આજ વાત પ્રથમ 10 પ્રમાણિત દેશોમાં પણ લાગુ પડે જ છે કે લોકો પ્રમાણિક છે કે અપ્રમાણિક એ તે દેશના કાયદા કેટલા કડક છે, તેનો અમલ કેટલો કડક છે, તેના અધિકારીઓ કેટલા પ્રમાણિક છે, તેના પર છે. જો આમાંની દરેક વાતો ઢીલી હોય અને પછી પણ પ્રમાણિકતાનું સ્તર ઉંચું હોય તો કહી શકાય કે પ્રજા પ્રમાણિક જ છે અને દેશ પ્રમાણિક છે.
કોરોના સમયમાં આપણને ખબર છે કે આપણા મજૂરોએ 100-100 200-200 કિલોમીટર ચાલીને પોતાના વતનમાં ગયા. પરંતુ તેઓએ રસ્તામાં એક પણ મોટો મોલ કે દુકાન લૂંટી નહીં. જ્યારે અમેરિકા અને યુરોપમાં કેટલી લૂંટફાટ થઈ તેના વિડીયો હજુ પણ youtube પર જોવા મળે છે. આ જ દેખાડે છે કે જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ હોય કે કાયદાનું બંધન ઢીલું પડે છે ત્યારે લોકોની સાચી માનસિકતા ઉભરી આવે છે તેથી કોઈપણ દેશ કે રાષ્ટ્ર વધારે કે ઓછો ધાર્મિક છે તેથી તે વધારે કે ઓછો પ્રમાણિક કે અપ્રમાણિક છે તેવો કોઈ માપદંડ ન હોઈ શકે. પરંતુ વામપંથી વિચારધારાને હંમેશા કોઈપણ નેગેટિવ વાતને જોવા માટે ધર્મના ચશ્મા પહેરવા જ પડે છે. પરિણામે કોઈપણ નેગેટિવ વાતનું મૂળ ધર્મમાં જ દેખાય છે. આ સમયે તેમના તર્કને કે તેમની બુદ્ધિને હલાવે તેવો કોઈ જવાબ આપતું નથી. પરિણામે આપણે હંમેશા આપણા ધર્મને કોસીએ છીએ. ગરીબની વહુ આખા ગામની ભાભી. તેની જેમ હિન્દુ ધર્મ વિશે લોકો કાંઈ પણ બોલી જાય અને તેની સામે તર્કથી જવાબ આપવાની કોઈ તસ્દી નથી લેતું પરિણામે તેઓની હિંમત વધતી જાય છે. આપણે હંમેશા કોઈ બુદ્ધિશાળી માણસ સ્ટેટેસ્ટીક સાથે આવી બધી વાતો રજૂ કરે છે એટલે મૂંગે મોઢે સ્વીકારી લઈએ છીએ. તેમને ખોખારો ખાઈને તેમના તર્કને તર્કથી અને બુદ્ધિને બુદ્ધિથી જ જવાબ આપવો પડે. ભલે કદાચ ધર્મ અને સંસ્કૃતિના ત્રાજવે તે ના તોલાય.
અસ્તુ.
તા.10.07.2024